હિંમતનગરમાં પુલવામા શહીદોની યાદમાં જનજાગૃતિ રેલી યોજાઈ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરમાં આજે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા જિલ્લા પેરામિલેટ્રી સંગઠન દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી. દેશભક્તિના માહોલ વચ્ચે શહીદોના પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા હિંમતનગરમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી. બસ સ્ટેન્ડથી શરૂ થયેલી આ રેલીમાં દેશભક્તિના નારા ગૂંજી ઉઠ્યા હતા. રેલી સિવિલ સર્કલ સુધી પહોંચી હતી, જ્યાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા. રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા જવાનોના પરિવારો અને મહિલાઓએ શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. પેરામિલેટ્રી સંગઠનના સભ્યો અને નિવૃત્ત આર્મી જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે શહીદ જવાનોને યોગ્ય દરજ્જો અને તેમના પરિવારોને પેન્શન તથા અન્ય સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.





