જૂનાગઢમાં મહાશિવરાત્રિ

શીતલ ઠાકર,ગાંધીનગર
જૂનાગઢમાં દર વર્ષે ગિરનારની તળેટીમાં યોજાતી મહાશિવરાત્રિ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મહાશિવરાત્રિ મેળો ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે. મેળાને વધુ સુવ્યવસ્થિત અને શ્રદ્ધાળુઓ માટે અનુકૂળ બનાવવા અનેક મહત્વપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
મેળા દરમિયાન સાધુ-સંતોના નગર પ્રવેશ સાથે ભવ્ય નગરયાત્રા યોજાશે. અગાઉ ૧.૫ કિ.મી.નો રૂટ રાખવામાં આવતો હતો, જે આ વર્ષે વિસ્તારીને અંદાજે ૨ કિ.મી. કરવામાં આવ્યો છે, જેથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. સમગ્ર મેળા વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ નિર્ભયતાથી મેળામાં ભાગ લઈ શકે.
વિશેષ રીતે શાહી સ્નાન સમયે મહાશિવરાત્રિ મેળાનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે, જેથી દૂર બેઠેલા શ્રદ્ધાળુઓ પણ આ પાવન પ્રસંગના દર્શન કરી શકે.
આ તમામ આયોજનથી આ વખતનો મહાશિવરાત્રિ મેળો શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.



