સાબરકાંઠા જિલ્લામાં આજે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સન્માન સમારોહ યોજાયો

જીજ્ઞેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં આજે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને દર્દીઓનું મનોબળ વધારવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્સરના દર્દીઓને ફ્રૂટ આપી સન્માન કરવામાં આવ્યું અને તેમને હિંમત તથા હકારાત્મક સંદેશ આપવામાં આવ્યો. કેન્સરના ડોક્ટરો અને નર્સોની ટીમ દ્વારા દર્દીઓની સારવારમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન એ સંદેશ આપવામાં આવ્યો કે કેન્સરથી ડરવાની જરૂર નથી, સમયસર અને યોગ્ય સારવારથી કેન્સરથી મુક્તિ શક્ય છે. વિશ્વ કેન્સર દિવસના ઉપક્રમે હોસ્પિટલ પરિસરમાં જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. આશિષ કટારકટ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. રેલીમાં ડોક્ટરો, નર્સો અને સ્ટાફ દ્વારા વિવિધ બેનરો સાથે કેન્સર જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ડો. પરેશ સિલાદરીયા, આરએમઓ ડો. વિપુલ જાની સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

