હિંમતનગરના ગઢોડા મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
પોથીયાત્રામાં વાજતે ગાજતે ભકતો જોડાયા

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે આવેલ ગોકુલ (બ્રહ્માણીનગર) ખાતે આવેલ વિશાળ સભા મંડપમાં મંગળવારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પ્રારંભે પોથીયાત્રાનું આયોજન કરાયું હતુ. આચાર્ય હર્ષદભાઇ જોષી વ્યાસપીઠ પર બિરાજમાન થઈ તા. ર૯ ડિસેમ્બર સુધી બપોરે ૧ર થી સાંજે પ.૩૦ કલાક સુધી કથાનું રસપાન કરાવશે. પોથીયાત્રા દરમિયાન પ્રથમ દિવસે ગઢોડા ગામના રામેશ્વર મંદિર ખાતેથી નિકળેલી પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત મુખ્ય યજમાન રમેશભાઇ ડાહ્યાભાઇ પટેલ પરિવાર જોડાયો હતો. ગઢોડા ગામના વિવિધ માર્ગોથી નિકળેલી પોથીયાત્રાનું ઠેરઠેર ભકતો દ્વારા ફુલોથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
મંગળવારના રોજ કથાનો પ્રારંભ થયો છે. ત્યારે કથાકાર હર્ષદભાઇ જોષી દ્વારા જ્ઞાન યજ્ઞમાં સહભાગી બનવા તથા કથામૃતનું રસપાન કરી આપણું જીવન દૈવિ અને ભદ્ર બનાવીએ તેવી ભકતોને અપિલ કરી હતી. કથા દરમિયાન શુક્રદેવ પ્રાગટય, કપિલ ભગવાન અવતરણ નૃસિંહાવતાર, વામનવતાર, ગોવર્ધન લીલા અન્નકૂટોત્સવ, રૂક્ષમણી વિવાહ, સુદામાચરિત્ર,એકાદશ સ્કંધ અને પરીક્ષિત મોક્ષકથાના પ્રસંગો યોજાશે. આ ઉપરાંત ૩૦ ડિસેમ્બરને મંગળવારના રોજ આચાર્ય કુશકુમાર હર્ષદભાઇ જોષી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિષ્ણુયાગ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં આચાર્ય, ભુદેવો, સંતો-મહંતો તથા ગ્રામજનો સહિત મિત્રવર્તુળ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન ગઢોડાના બ્રહ્માણીનગરમાં રમેશભાઇ ડાહ્યાભાઇ પટેલ, રમીલાબેન રમેશભાઇ પટેલ, રાજીવકુમાર મહેન્દ્રભાઇ પટેલ, રિધ્ધિબેન રાજીવકુમાર પટેલ સહિત પટેલ પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહમાં સર્વ ભકતોને હાર્દિક નિમંત્રણ પણ પરિવારજનો તરફથી આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત કથારસ પાન બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યુ છે. શીતલ ઠાકર,ગાધીનગર





