સાબરકાંઠામાં ઉત્તરાયણની મીઠી મહેક: હિંમતનગરમાં ઊંધિયું–જલેબી માટે લાંબી લાઈનો

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમ્યાન હિંમતનગર સહિતના શહેરોમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. પતંગોત્સવની સાથે સાથે પરંપરાગત વ્યંજન ઊંધિયું અને જલેબી લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શહેરની વિવિધ ફરસાણ દુકાનો પર વહેલી સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી.હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલી ફરસાણ દુકાનો પર ખાસ કરીને ઊંધિયું–જલેબી માટે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. પરંપરાગત સ્વાદ માટે જાણીતી સૌરાષ્ટ્ર ફરસાણ સહિત અનેક દુકાનો પર વર્ષોથી ઉત્તરાયણના દિવસે લોકોની લાઈનો લાગતી આવી છે. ઘણા પરિવારો માટે ઉત્તરાયણ એટલે પરિવારજનો સાથે મળીને ઊંધિયું–જલેબીનો આસ્વાદ લેવાની પરંપરા બની ગઈ છે.ભાવની વાત કરીએ તો બજારમાં ઊંધિયું રૂ. 360 પ્રતિ કિલો, ઘીની જલેબી રૂ. 560 પ્રતિ કિલો અને તેલની જલેબી રૂ. 320 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વધતી માંગને કારણે વેપારીઓએ પણ આગોતરી અને વધારાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે.ઉત્તરાયણનું મહત્વ માત્ર પતંગ ઉડાડવામાં જ સીમિત નથી, પરંતુ તે સંસ્કૃતિ, પરંપરા અને ઋતુ પરિવર્તન સાથે જોડાયેલું પર્વ છે. મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશામાં ગતિ કરે છે અને તેને શુભ સમય તરીકે માનવામાં આવે છે. આ દિવસે ઊંધિયું–જલેબી જેવા પરંપરાગત વ્યંજન લોકોમાં એકતા, આનંદ અને સામૂહિક ઉત્સવની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. ઉત્તરાયણના પર્વ પર આ મીઠી અને મસાલેદાર સ્વાદની ખુશબૂ સાબરકાંઠાના શહેરોમાં ઉત્સાહ અને ઉલ્લાસને ચાર ચાંદ લગાવી રહી છે.




