સાબરકાંઠા ના પનોતાપુત્ર ની રાષ્ટ્રીયસ્તરે ગુંજ: ‘વિકસિત ભારત યંગલીડર્સ ડાયલોગ 2026’માં હિંમતનગર ના જય ઉપાધ્યાયે ગુજરાતનું ગૌરવ વધાર્યું
દેશભરના 50 લાખ ઉમેદવારોમાંથી પસંદ થયેલા 3000 યુવાનોમાં હિંમતનગરના જયે સ્થાન મેળવ્યું, ‘સ્માર્ટ અને ટકાઉ ખેતી દ્વારા ઉત્પાદકતામાં વધારો’ વિષય પર દિલ્હી ખાતે વિચારો રજૂ કર્યા.

મનીષ ઉપાધ્યાય,હિમતનગર
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના રહેવાસી ઉપાધ્યાય જય સંજયકુમારે રાષ્ટ્રીય સ્તરે આયોજિત ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026’ માં સહભાગી થઈને સમગ્ર ગુજરાત અને સાબરકાંઠાનું નામ રોશન કર્યું છે. ભારત સરકાર દ્વારા આયોજિત આ નેશનલ યુથ ફેસ્ટિવલ માટે દેશભરમાંથી અંદાજે 50 લાખ જેટલા યુવા ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી ચાર અલગ-અલગ કઠિન તબક્કાઓ પાર કરીને માત્ર 3000 તેજસ્વી યુવાનોની અંતિમ પસંદગી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી યાદીમાં જયે સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે.દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન જયે ‘સ્માર્ટ અને ટકાઉ ખેતી દ્વારા ઉત્પાદકતામાં વધારો’ (Enhancing Productivity through Smart and Sustainable Agriculture) વિષય પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ‘વિકસિત ભારત 2047’ ના વિઝનને ધ્યાનમાં રાખીને તેમણે આધુનિક ટેકનોલોજી અને નવીન કૃષિ નીતિઓ દ્વારા ખેતીને કેવી રીતે આર્થિક રીતે સધ્ધર બનાવી શકાય તે અંગેના મૌલિક વિચારો અને સૂચનો રાષ્ટ્રીય મંચ પર રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત 7 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મહાહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આ યુવા પ્રતિનિધિઓને ‘ફ્લેગ ઓફ સેરેમની’ દ્વારા પ્રોત્સાહિત કરી દિલ્હી માટે રવાના કરવામાં આવ્યા હતા.સાબરકાંઠાના યુવાનો માટે પ્રેરણાદાયી બની રહેલી આ સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે જો યુવાનો પાસે દેશના વિકાસ માટે સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોય, તો તેઓ રાષ્ટ્રીય ફલક પર પોતાની ઓળખ બનાવી શકે છે. હિંમતનગરના એક સામાન્ય પરિવારમાંથી આવતા જયની આ સફળતા જિલ્લાના અન્ય યુવાનો માટે નવી ઉર્જા અને રાષ્ટ્ર સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.





