પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, હિંમતનગર ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

શીતલ ઠાકર,ગાંધીનગર
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, હિંમતનગર ખાતે ૭૭માં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વિદ્યાલયના આચાર્ય શ્રી મહેન્દ્ર પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે જાણીતા સામાજિક કાર્યકર શ્રી ખાનાભાઈ તીરગર, નિવૃત્ત શિક્ષક શ્રી બી. એસ. પટેલ સાહેબ તેમજ શ્રી પ્રણવ ભટ્ટ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે ધ્વજવંદનથી કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું ગાન કર્યું હતું. આ અવસરે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સમૂહ નૃત્ય, સમૂહ ગાન, યોગા ડાન્સ, પ્રાસંગિક નાટક અને વક્તવ્ય (સ્પીચ) મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શ્રેષ્ઠ પરિણામ લાવનાર શિક્ષકોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતમાં પ્રાચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન દ્વારા સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ શ્રી વિનોદ પરમાર દ્વારા કરવામાં આવી હતી.





