હિમતનગર

સાબરકાંઠામાં ગુરૂપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી થશે

હિંમતનગરના ઝરણેશ્વર મંદિરમાં ૫૦૦થી ૭૦૦ કિલો લાડુનો પ્રસાદ તૈયાર થશે

સાબરકાંઠા જિલ્લામાં બુધવારે ગુરૂપૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાશે. હિંમતનગર સહિત જિલ્લાના વિવિધ મંદિરો, આશ્રમો અને ગુરુસ્થાનોમાં ગુરુપૂજન, હવન, ભજન-કીર્તન, સંતવાણી તેમજ મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ છે.

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં હાથમતી નદીના કિનારે આવેલા ઝરણેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપૂર્ણિમા નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે અને મંગળવારથી જ મંડપ સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભક્તો માટે પ્રસાદરૂપે લાડુ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.

મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૂપૂર્ણિમાના દિવસે અંદાજે ૫૦૦થી ૭૦૦ કિલો લાડુ તૈયાર કરવામાં આવશે. આ સેવા કાર્યમાં સ્થાનિક યુવાનો અને ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા છે. સવારે ૧૦:૩૦થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી ગુરુપૂજન અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જ્યારે રાત્રે સંતવાણી અને ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત હિંમતનગરના ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે સમૂહ આરતી બાદ ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. બેરણાના નિરંજન અખાડા ખાતે હવન, ગુરુપૂજન, ભજન-કીર્તન અને ગુરુપ્રસાદના કાર્યક્રમો યોજાશે. કંટાળેશ્વર હનુમાનજી મંદિર, કાંકરોલ નજીકના શંકરધામ તેમજ જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળોએ પણ ગુરૂપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત જિલ્લાના અનેક શહેરો અને ગામોમાં પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તો ગુરુવંદના, પૂજન અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાગ લેશે. સમગ્ર જિલ્લામાં આજે ગુરૂપૂર્ણિમાના પર્વને લઈને ભક્તિમય વાતાવરણ જોવા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!