વિરવાડામાં ટ્રેક્ટર નીચે કચડાયેલા અજગર માટે ‘૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ’ દેવદૂત બની
તાત્કાલિક સારવાર આપીને ગંભીર રીતે ઘવાયેલા અજગરનો જીવ બચાવ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વિરવાડા ગામે ટ્રેક્ટરના પાવડા નીચે આવી જતાં એક અજગર ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના ધવલભાઈ સુથારે તાત્કાલિક ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો.
માહિતી મળતાં જ આ કેસ સાબરકાંઠા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને સોંપવામાં આવ્યો હતો. કોલ મળતાની સાથે જ ફરજ પરના ડૉ. વિવેક પટેલ અને પાઇલોટ અજીઝભાઈ મેમણ વિના વિલંબે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ટીમે સ્થળ પર જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અજગરની પ્રાથમિક અને જરૂરી સારવાર શરૂ કરી હતી. સમયસરની સારવારના કારણે અજગરનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. ત્યારબાદ અજગરને વધુ સારવાર અને સુરક્ષિત સંભાળ માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.
ફોરેસ્ટ વિભાગ અને ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઇનની ઝડપી, સમયસૂચક અને પ્રશંસનીય કામગીરીને વિરવાડા ગામના લોકોએ બિરદાવી હતી. સ્થાનિકોએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમયસરની કામગીરીના કારણે એક નિર્દોષ વન્યજીવને નવું જીવન મળ્યું છે.




