હિંમતનગર જીવરક્ષા સમિતિ દ્વારા પશુ કલ્યાણ (વિશેષ કરીને શ્વાનોના રક્ષણ) હેતુસર હિંમતનગરના ટાવર ચોક ખાતે શાંતિપૂર્ણ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું.

સંજય ગાધી,હિમતનગર
તા.૪ જાહેરસભામાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ, ચિંતિત નાગરિકો તથા પશુ કલ્યાણ માટે કાર્યરત સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
આ જાહેરસભાનો મુખ્ય હેતુ પશુ અધિકાર, પશુ કલ્યાણ તથા સમુદાય પશુઓ સાથે કાયદેસર સહઅસ્તિત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા અબોલ જીવ સામે અન્યાયરૂપ બને તેવા નિર્ણયોને રદ કરવામાં આવે તેવી માંગ સાથે શાંતિપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રાંતિજ, ઇડર, તલોદ, મોડાસા તથા હિંમતનગર જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાહેરસભામાં પિયુષભાઈ, નિમિષાબેન, ઇલાબેન, હિતેશભાઈ, મિતુલભાઈ, રાજભાઈ સહિતના વક્તાઓએ પોતાના વિચારો જનસમુદાય સમક્ષ રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવતા આવા નિર્દયી નિર્ણયોને પાછા ખેંચવાની જરૂરિયાત અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.ઘણા ઉપસ્થિતોએ શ્વાનોના રક્ષણ માટે અડગ સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને અબોલ પશુઓના હિતમાં નિર્ણય પાછો ન ખેંચાય ત્યાં સુધી શાંતિપૂર્ણ લડત ચાલુ રાખવાની તૈયારી દર્શાવી હતી. જાહેરસભાનો મુખ્ય ઉદ્દેશ અબોલ પશુઓ માટે લેવામાં આવતા નિર્દયી નિર્ણયો પાછા લેવાય તે જ રહ્યો હતો.
આ સભામાં દયા, કરુણા અને માનવ-પશુ સહઅસ્તિત્વના સિદ્ધાંતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ જીવદયા પ્રેમીઓ, કાર્યક્રમની વ્યવસ્થા જાળવનાર પોલીસ કર્મીઓ તથા સમાચાર કવરેજ આપનાર મીડિયા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





