હિંમતનગરના સુન્દરગઢ નજીક કારમાંથી તબીબનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

હિંમતનગર શહેરના સુન્દરગઢ નજીક રોડ પર પાર્ક કરેલી કારમાંથી એક તબીબનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ ડૉ. હાર્દિક પંકજભાઈ રાવલ તરીકે થઈ છે. ઘટના અંગે જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ડૉ. હાર્દિક રાવલ પોતાની કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ખાસ કરીને તેમનું ઘર નજીક હોવા છતાં તેઓ કારમાં મૃત હાલતમાં મળી આવતાં ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જોકે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
ઘટનાની જાણ થતાં હિંમતનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. મૃત્યુનું સાચું કારણ જાણી શકાય તે માટે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમની મદદ લેવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.
મૃતદેહને કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલની તપાસ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે.
હાલ પોલીસે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ સંજોગો સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.




