મોતીપુરા સર્કલના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત, મહારાણા પ્રતાપની પ્રતિમા સાથે શહેરના વિકાસના અનેક પ્રોજેક્ટોની જાહેરાત

હિંમતનગર શહેરના પ્રવેશદ્વારને ઐતિહાસિક અને ભવ્ય ઓળખ આપવા હિંમતનગર નગરપાલિકા દ્વારા મોતીપુરા હનુમાન મંદિર પાસે આવેલા મોતીપુરા સર્કલના વિકાસકાર્યનું આજે ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે દેશના શૂરવીર યોદ્ધા તથા હિન્દુ સંસ્કૃતિના ગૌરવ સમાન મહારાણા પ્રતાપ મહારાજની પ્રતિમાના સ્થાપનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ તરફથી શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર આવેલા મોતીપુરા સર્કલને ભવ્ય અને આકર્ષક બનાવવાના વિકાસકાર્યના પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અનેક મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. શહેરમાં નવો આઈકોનિક રોડ બનાવવામાં આવશે, મુખ્ય વિસ્તારમાં કેનાલ ફ્રન્ટનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમજ હાથમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પણ ગતિ આપવામાં આવશે. ઉપરાંત મોતીપુરા વિસ્તારમાં નવા બ્રિજોના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. નગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પણ વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે, જેથી શહેરના વિસ્તરણ સાથે નાગરિકોને મૂળભૂત સુવિધાઓ વધુ સુલભ બની રહે.




