હિંમતનગર ન્યાય સંકુલના ભોયતળીયે વકીલો-નોટરી માટે બેઠક વ્યવસ્થા કરવાની માંગ

હિંમતનગર-ઈડર રોડ પર પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ આધુનિક બહુમાળી ન્યાય સંકુલમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો, વકીલો તથા સ્ટેમ્પ-ટીકીટ અને અન્ય કાનૂની કામગીરી માટે લોકોની અવરજવર રહે છે. આવા સમયે નોટરીની કામગીરી કરાવતા લોકોને સંબંધિત નોટરી શોધવામાં મુશ્કેલી પડતી હોવાથી ન્યાય સંકુલના ભોયતળીયે એડવોકેટ અને નોટરીઓ માટે બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.
નોટરી નરેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, નોટરીની કામગીરી કરતા વકીલોને ભોયતળીયે બેઠક વ્યવસ્થા આપવામાં આવે તો અરજદારોને સીધો સંપર્ક કરવામાં સરળતા રહેશે. હાલમાં હિંમતનગરમાં અંદાજે ૧૫૦થી વધુ નોટરીનું કાર્ય કરતા વકીલો છે, પરંતુ તેમની માટે એકસમાન બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જેના કારણે સામાન્ય નાગરિકોને જરૂરી નોટરી શોધવામાં અગવડ પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોડાસા, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ જેવા શહેરોના ન્યાય સંકુલોમાં એડવોકેટ અને નોટરીઓ માટે ભોયતળીયે ટેબલ અને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેવી જ સુવિધા હિંમતનગર ન્યાય સંકુલમાં પણ ઉપલબ્ધ કરાવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે અગાઉ જૂના કોર્ટ બિલ્ડિંગમાં વકીલો અને નોટરીઓ માટે બેઠક વ્યવસ્થા હતી, પરંતુ તે બિલ્ડિંગનું પઝેશન સોંપાયા બાદ હાલ આવી કોઈ વ્યવસ્થા રહી નથી. પરિણામે વકીલો તેમજ અરજદારો બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.




