હિંમતનગરમાં ભગવાન જગન્નાથની દ્વિતીય ભવ્ય રથયાત્રા યોજાઈ, ભક્તોમાં ઉત્સાહનો માહોલ

અમદાવાદની જેમ હવે હિંમતનગરમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની પરંપરા મજબૂત બની રહી છે. અષાઢી બીજના પાવન દિવસે જગન્નાથધામ હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર, હિંમતનગર દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની દ્વિતીય રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગોકુલનગર ફાટકથી પ્રસ્થાન કરેલી રથયાત્રામાં ભક્તોનો જનસાગર ઉમટી પડ્યો હતો.
રથયાત્રા ગોકુલનગર ફાટકથી બેરણા રોડ અને મહાવીરનગર વિસ્તાર થઈ પરત ગોકુલનગર ફાટક ખાતે પૂર્ણ થઈ હતી. રથયાત્રા પૂર્વે ભગવાનને ૫૬ ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ મોટી સંખ્યામાં ભક્તોએ ભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર માર્ગ પર “જય જગન્નાથ”ના ગગનભેદી જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળના કાર્યકર્તાઓ, આરએસએસના સ્વયંસેવકો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. અગાઉ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોને અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે હિંમતનગરમાં જ દ્વિતીય રથયાત્રા અને દર્શનનો લાભ મળતા ભક્તોમાં આનંદ અને હર્ષની લાગણી જોવા મળી હતી.




