હિંમતનગર નાગરિક બેંક ચૂંટણી : ૪૨ ઉમેદવારો મેદાનમાં, નોમીનીઝ કોર્ટમાં સુનાવણી ૭ જાન્યુઆરીએ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર નાગરિક સહકારી બેંકની ૧૩ બેઠકો માટે યોજાનારી ચૂંટણી આગામી તા. ૧૧ જાન્યુઆરીના રોજ યોજાનાર છે. તે પૂર્વે ઉમેદવારીપત્રો ભરવાની, તેની તપાસ કરવાની તથા ઉમેદવારીપત્રો પરત ખેંચવાની સમગ્ર પ્રક્રિયા સોમવારે પૂર્ણ થતાં હવે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.કુલ ભરાયેલા ઉમેદવારીપત્રોમાંથી ૧૭ ઉમેદવારોએ ગમે તે કારણસર પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચ્યા બાદ ત્રણેય વિભાગમાં મળી કુલ ૪૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ચૂંટણી અધિકારી દ્વારા તમામ માન્ય ઉમેદવારોને પ્રતિકની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા ઈવીએમ મારફતે યોજાશે.મળતી માહિતી મુજબ સામાન્ય વિભાગની ૧૦ બેઠકો માટે ૨૯ ઉમેદવારો વચ્ચે જંગ જામશે, જ્યારે મહિલા વિભાગની ૦૨ બેઠકો માટે ૦૫ ઉમેદવારો મેદાનમાં છે. તે ઉપરાંત અનુસૂચિત જાતિ-જનજાતિ (અનામત) વિભાગની ૦૧ બેઠક માટે ૦૮ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થવાની છે. આમ, કુલ ૧૩ બેઠકો માટે ૪૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. હવે મતદાનની તારીખ નજીક આવતા તમામ ઉમેદવારો મતદારોનો સંપર્ક કરી પોતાની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે.બીજી તરફ, બેંકની ચૂંટણીને લઈને એક જાગૃત નાગરિક દ્વારા મહેસાણા નોમીનીઝ કોર્ટમાં દાખલ કરાયેલી રીટ અરજી અંગે સોમવારે સુનાવણી યોજાઈ હતી. બેંક તરફથી અગાઉ વકીલ મારફતે જવાબ રજૂ કરવામાં આવ્યા બાદ ન્યાયાધીશે આ મામલે વધુ સુનાવણી માટે આગામી તા. ૦૭ જાન્યુઆરીના રોજ તારીખ મુકરર કરી છે. કોર્ટની આગામી સુનાવણીને લઈને હાલ ચૂંટણી પ્રક્રિયા યથાવત્ ચાલુ રહેતાં નાગરિક બેંકની ચૂંટણી અંગેની અસ્પષ્ટતા ધીમે ધીમે દૂર થતી જોવા મળી રહી છે.




