ચોથા નોરતે મા કુષ્માંડા ના મહત્ત્વ સાથે ભક્તિમય માહોલ

શીતલ ઠાકર,ગાંધીનગર
નવરાત્રીના ચોથા નોરતે મા કુષ્માંડા ની પૂજા કરવામાં આવે છે, જેને બ્રહ્માંડની સર્જક તરીકે માનવામાં આવે છે. માન્યતા અનુસાર મા કુષ્માંડાએ પોતાના દિવ્ય સ્મિતથી આખા બ્રહ્માંડની રચના કરી હતી, તેથી તેઓને “આદિશક્તિ” તરીકે પણ પૂજવામાં આવે છે.
આ દિવસે માતાજીની આરાધના કરવાથી આયુષ્ય, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભક્તો દુર્ગા સપ્તશતીના પાઠ, પૂજા-અર્ચના અને ઉપવાસ કરીને માતાજીની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે.મા કુષ્માંડા ને અષ્ટભુજા ધરાવતી દેવી તરીકે દર્શાવવામાં આવે છે, જે હાથોમાં વિવિધ આયુધો અને અમૃત કળશ ધારણ કરે છે. તેઓ સૂર્યમંડળમાં નિવાસ કરતી દેવી માનવામાં આવે છે, તેથી તેમની ઉપાસનાથી તેજસ્વિતા અને ઊર્જા પ્રાપ્ત થાય છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રીની ઉજવણી ભક્તિ અને ઉત્સાહ સાથે થઈ રહી છે. ગરબા અને ડાંડીયાના કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને માતાજીની આરાધનામાં લીન બની રહ્યા છે.આ ચોથા નોરતે મા કુષ્માંડા તમામ ભક્તોને સુખ, શાંતિ અને શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે નવરાત્રીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.




