કોર્ટમાં ભાવુક ક્ષણ… ઇચ્છામૃત્યુ કેસે જસ્ટિસ પારડીવાલાને પણ રડાવ્યા

13 વર્ષથી ગંભીર શારીરિક અશક્તતામાં જીવતા હરિશ રાણાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં ભાવુક દ્રશ્ય જોવા મળ્યું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો.
સુનાવણી દરમિયાન હરિશ રાણાની લાંબા સમયથી ચાલતી પીડા અને તેમની શારીરિક સ્થિતિ અંગે ચર્ચા થતાં જસ્ટિસ જે.બી. પારડીવાલા ભાવુક બની ગયા હતા. કહેવામાં આવે છે કે આ દરમિયાન તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને કોર્ટરૂમમાં થોડા સમય માટે ભાવુક મૌન છવાઈ ગયું હતું.
જસ્ટિસ પારડીવાલાએ નોંધ્યું હતું કે આ કેસ માત્ર કાનૂની મુદ્દો નથી પરંતુ માનવ પીડા અને ગૌરવ સાથે જોડાયેલો પ્રશ્ન છે. કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અસહ્ય પીડા વચ્ચે જીવતો હોય ત્યારે તેની પરિસ્થિતિને સમજવી અને માનવતા આધારિત નિર્ણય લેવો જરૂરી બને છે.
માહિતી મુજબ વર્ષ 2013માં બિલ્ડિંગમાંથી પડી જતાં હરિશ રાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારથી તેઓ ગંભીર શારીરિક અશક્તતામાં જીવતા હતા અને છેલ્લા 13 વર્ષથી સંપૂર્ણપણે બીજાઓ પર નિર્ભર જીવન જીવી રહ્યા હતા.
કેસની પરિસ્થિતિ અને તબીબી અહેવાલોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટએ ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકારને ધ્યાનમાં રાખી લાઈફ સપોર્ટ હટાવવાની મંજૂરી આપી છે. આ ચુકાદા બાદ દેશમાં ઇચ્છામૃત્યુ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે.




