ગાયત્રી પરિવાર ગઢોડા દ્વારા ગૌશાળામાં ગર્ભ સંસ્કાર મહોત્સવ, ૨૪ ગર્ભવતી મહિલાઓનો ઉત્સાહભર્યો ભાગ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર તાલુકાના ગઢોડા ગામ સ્થિત શ્રીનાથજી ગીર ગૌશાળામાં ગાયત્રી પરિવાર અને ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે ‘ગર્ભ સંસ્કાર’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૨૪ ગર્ભવતી મહિલાઓએ પોતાના પતિ સાથે ભાગ લીધો હતો.
ગૌશાળાના પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે પાંચ યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ગાયત્રી પરિવારની બહેનો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે સોળ સંસ્કારોમાંના મહત્વપૂર્ણ ગર્ભ સંસ્કારની વિધિ કરાવવામાં આવી હતી.

સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પરિવારોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભસ્થ શિશુમાં સારા સંસ્કારોનું સિંચન કરવાનું અને તેને શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ બનાવવાનું હતો.

આધુનિક સમયમાં વધતી અશાંતિ વચ્ચે આવા આધ્યાત્મિક અને સંસ્કાર આધારિત કાર્યક્રમો સમાજમાં સકારાત્મકતા ફેલાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. ગર્ભ સંસ્કાર દ્વારા માતા અને ગર્ભસ્થ શિશુ પર સકારાત્મક અસર થતી હોવાનો સંદેશ પણ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.





