રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી ભેદભાવ અને ત્રાસના આક્ષેપ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

તલોદ તાલુકાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકો દ્વારા ગામના અસામાજિક તત્વો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજના લોકોનો આક્ષેપ છે કે ભારતીય બંધારણથી મળેલા અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે અને સામાજિક, આર્થિક, ધાર્મિક તેમજ ન્યાયિક રીતે સતત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
આ મામલે અત્યાર સુધીમાં એટ્રોસિટી એક્ટ હેઠળ છ ફરિયાદો તેમજ અનેક રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ સમાધાન કરાયું હોવા છતાં તેનું પાલન ન થતાં ફરીથી તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું અનુસૂચિત સમાજના લોકોનું કહેવું છે.
સમાજના લોકોનો આક્ષેપ છે કે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. સરકાર અને તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા ગામમાં બહિષ્કાર જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું પણ જણાવાયું છે.
આ સમગ્ર મામલે આજે હિંમતનગર જિલ્લા કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ સાત દિવસમાં યોગ્ય નિકાલ નહીં આવે તો અનુસૂચિત સમાજના લોકો ગામ છોડીને હિજરત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.




