પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ : મંદિરોમાં ભક્તિમય માહોલ, જપ-તપ અને દાનનું વધ્યું મહત્વ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવતો અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ શરૂ થયો છે. આ માસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત હોવાથી તેને “પુરુષોત્તમ માસ” તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, જપ-તપ, દાન-પુણ્ય અને ઉપવાસનું અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે.
હિંદુ પંચાંગ અનુસાર ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ વચ્ચે ઊભા થતા સમયના તફાવતને સંતુલિત કરવા માટે લગભગ 32 મહિનાએ એક વખત અધિક માસ આવે છે. પુરાણોમાં વર્ણવાયેલ કથાઓ મુજબ શરૂઆતમાં આ માસને કોઈ દેવતા સ્વીકારતા નહોતા, ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુએ આ માસને પોતાનું નામ “પુરુષોત્તમ” આપીને તેને વિશેષ પવિત્રતા અને મહત્ત્વ આપ્યું હતું.
પુરુષોત્તમ માસ દરમિયાન મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, સત્સંગ, ભજન-કીર્તન, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, ભગવદ ગીતા પાઠ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તો દ્વારા તુલસી પૂજન, દીપદાન, ગૌસેવા અને અન્નદાન જેવા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે. અનેક પરિવારો દ્વારા સાત્વિક આહાર અપનાવી ઉપવાસ અને એકટાણાં કરવામાં આવે છે.
ધાર્મિક પરંપરા મુજબ આ માસ દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, નવા શુભ કાર્યો તથા મોટા મંગલ પ્રસંગો ટાળવાની માન્યતા છે, કારણ કે આ સમય આધ્યાત્મિક સાધના અને આત્મચિંતન માટે સમર્પિત ગણાય છે. સંતો અને ધાર્મિક વિદ્વાનોના જણાવ્યા અનુસાર પુરુષોત્તમ માસ મનુષ્યને સંયમ, સેવા, કરુણા અને ભક્તિના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કરે છે.




