અકસ્માતમાં ઘાયલ દર્દીઓ માટે ૧.૫૦ લાખ સુધીની સહાય, હિંમતનગરમાં યોજનાનો અસરકારક અમલ

શીતલ ઠાકર,ગાંધીનગર
રાજ્ય સરકારે અકસ્માત પીડિતોને વધુ સહાય મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે અકસ્માત સહાયની રકમ ૫૦ હજાર રૂપિયાથી વધારીને ૧.૫૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ યોજના હેઠળ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને તાત્કાલિક અને નિશુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.હિંમતનગરની GMERS જનરલ સિવિલ હોસ્પિટલમાં આ યોજનાનો સફળ અમલ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી દર્દીઓને ઝડપથી સારવાર મળી શકે. ૭ માર્ચથી શરૂ થયેલી આ યોજનામાં ૩૧ માર્ચ સુધી કુલ ૧૧૯ દર્દીઓનું રજીસ્ટ્રેશન નોંધાયું છે.

અકસ્મતમાં ઘાયલ દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ અથવા ખાનગી વાહન દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને તેમને ૪૮ કલાક સુધી સંપૂર્ણપણે મફત સારવાર આપવામાં આવે છે. આ સારવારનો ખર્ચ PMJAY રાહત ફંડ હેઠળ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવામાં આવે છે, જેના કારણે હોસ્પિટલની સુવિધાઓમાં પણ વધારો થાય છે.દર્દી માટે નોંધણી સમયે સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત રાખવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ યોજનાના અસરકારક અમલીકરણમાં હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલ પ્રથમ સ્થાને રહી છે. અકસ્માત પીડિતો માટે આ યોજના જીવનદાતા સાબિત થઈ રહી છે.




