હિંમતનગર ગાયત્રી મંદિર પાસે પટેલ ડેરી પાર્લરમાં આગ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા ચકાસણી જરૂરી

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલ પટેલ ડેરી પાર્લરમાં રાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.મળતી માહિતી મુજબ આઇસ્ક્રીમના ફ્રીઝરમાંથી આગ શરૂ થઈ હતી, જેના કારણે ડેરીમાં રહેલો સામાન બળી ખાખ થઈ ગયો હતો. સવારના અંદાજે ૫ વાગ્યે કર્મચારી સ્થળ પર પહોંચતા ઘટના સામે આવી હતી અને સમયસર પાણી નાખી આગ પર કાબૂ મેળવાતા મોટી જાનહાનિ ટળી હતી.પરંતુ આ ઘટના ગાયત્રી મંદિર આસપાસના વિસ્તારો માટે ચેતવણીરૂપ બની છે. નોંધનીય છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આઇસ્ક્રીમ પાર્લર, ડેરી અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ કાર્યરત છે, જે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો પર નિર્ભર છે.

આવા વિસ્તારોમાં એક જગ્યાએ આગ લાગવાની ઘટના બને તો તે ઝડપથી આસપાસના દુકાનો અને ઉપર રહેણાંક ફ્લેટોમાં ફેલાઈ શકે તેવી શક્યતા રહે છે. ખાસ કરીને કોમ્પ્લેક્સમાં નીચે વેપાર અને ઉપર રહેઠાણ હોય ત્યારે જોખમ વધુ ગંભીર બની જાય છે.સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભયનો માહોલ સર્જાયો છે અને પ્રશ્ન ઊભા થયા છે કે શું આવા વિસ્તારોમાં નિયમિત ઇલેક્ટ્રિકલ ચકાસણી અને ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવે છે કે નહીં?આથી તંત્ર દ્વારા ગાયત્રી મંદિર આસપાસના સમગ્ર વિસ્તારમાં આવેલા ડેરી, આઇસ્ક્રીમ પાર્લર અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સની તાત્કાલિક સુરક્ષા ચકાસણી કરવામાં આવે અને સલામતીના નિયમોનું કડક પાલન થાય તે સમયની માંગ બની છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




