હિંમતનગરમાં અધૂરા વિકાસ કામો સામે જનરોષ, ગાયત્રી મંદિર રોડ મુદ્દે ઉઠ્યા સવાલો

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર શહેરનો મુખ્ય માર્ગ ગણાતો ગાયત્રી મંદિર રોડ આજે પણ અધૂરો પડ્યો છે. સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામ પૂર્ણ ન થવું શાસકોની બેદરકારી દર્શાવે છે. શહેરના મહત્વના માર્ગોમાંથી એક એવા આ રોડ પર રોજબરોજ હજારો લોકો અવરજવર કરે છે, છતાં કામમાં થતા વિલંબથી નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે સામાન્ય રોડને પૂર્ણ કરવામાં જો આટલો લાંબો સમય લાગે, તો શહેરના મોટા વિકાસ કામો કેવી રીતે સમયસર પૂર્ણ થશે? વરસાદી મોસમમાં કાદવ, ખાડા અને ટ્રાફિક અવ્યવસ્થાથી વાહનચાલકો, વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

વળી શહેરના કેટલાક નગરસેવકો માત્ર ચૂંટણી સમયે જ દેખાયા હતા અને જીત્યા બાદ પાંચ વર્ષ દરમિયાન પ્રજાના પ્રશ્નોમાં નજરે પડ્યા નથી તેવી ચર્ચાઓ જનમાનસમાં તેજ બની છે. લોકોને હવે માત્ર વચનો નહીં, પરંતુ જવાબદારીપૂર્વક કામ કરનાર પ્રતિનિધિઓની જરૂર છે.
આ પરિસ્થિતિમાં “નો રિપીટ થિયરી” અમુક અંશે યોગ્ય લાગી રહી છે. વિકાસ અટકાવનાર, પ્રજાથી દૂર રહેનાર અને જવાબદારી ન નિભાવનાર ચહેરાઓ સામે હવે જનતા મતદાન દ્વારા જવાબ આપે તેવી ચર્ચા શહેરમાં જોર પકડી રહી છે.
હજુ પણ થોડા ઘણા એવા પ્રતિનિધિઓ છે, જેઓ લોકો વચ્ચે રહી કામગીરી કરે છે અને જનપ્રશ્નો ઉકેલવા પ્રયત્નશીલ છે. જનતા હવે કામ કરનાર અને માત્ર દેખાવ કરનાર વચ્ચેનો તફાવત સારી રીતે સમજી ચૂકી છે.




