હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં મગફળી ભરેલ ટ્રકમાં આગ લાગવાની ઘટના

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં મગફળી ભરેલ ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં મગફળીનો મોટાપાયે નુકસાન થયું છે.
મળતી માહિતી મુજબ હિંમતનગર નજીક આવેલા નુરપુરા ખાતેથી મગફળી ભરીને જુનાગઢ તરફ જતી ટ્રક કડીવાલા પેટ્રોલ પંપ નજીક પહોંચી હતી. ટ્રકની ઊંચાઈ વધુ હોવાને કારણે ડ્રાઈવર દ્વારા યોગ્ય સાવચેતી ન રાખાતા ટ્રક ઉપરથી પસાર થતા વિજળીના તારને અડી જતાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.
ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ઝડપથી કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન ટ્રકમાં ભરેલ મગફળીનો મોટા પ્રમાણમાં નાશ થયો હોવાનું જાણવા મળ્યું છે.
આગ લાગવાની ઘટના બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ગુજરાત પોલીસ તથા ટ્રાફિક પોલીસના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.





