આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શાંતિ સરોવર ખાતે “પીસ વૉક એન્ડ યોગા” કાર્યક્રમ યોજાયો

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવર, હિંમતનગર ખાતે 14 જૂન રવિવારના રોજ વિશેષ “પીસ વૉક એન્ડ યોગા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
હિંમતનગર શાંતિ સરોવર સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બી.કે. જ્યોતિ દીદીએ શિવબાબાનો ધ્વજ લહેરાવીને પીસ-યોગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો અને તન-મનની સ્વસ્થતા માટે યોગ તથા આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે ભાઈ-બહેનોએ શાંતિ સરોવર ભવનની આજુબાજુના વિસ્તારમાં પીસ વૉક (Peace Walk&Yoga) કરી હતી. ગુજરાત ઝોનમાંથી પ્રાપ્ત વિશેષ યોગા કોમેન્ટ્રી અને પ્રેરણાદાયી ગીતોના સંગાથે હળવી કસરતો કરવામાં આવી હતી. ત્યારબાદ ભવનની અંદર વિશેષ રાજયોગ, યોગાસન અને પ્રાણાયામ દ્વારા સૌએ આત્મિક શાંતિ, શક્તિ અને આનંદનો અનુભવ કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ યોગ દ્વારા જીવનમાં શાંતિ, સ્વાસ્થ્ય અને સકારાત્મકતા વધારવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર, પ્રેરણાદાયક અને સફળ રહ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ આંતરિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિની અનુભૂતિ વ્યક્ત કરી હતી.
“પીસ વૉક એન્ડ યોગા” કાર્યક્રમ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે જનજાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.




