હિંમતનગરમાં નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભવનનું ૫ જૂને લોકાર્પણ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ન્યાયિક સેવાઓને વધુ આધુનિક, સુવિધાસભર અને કાર્યક્ષમ બનાવવા માટે નિર્માણ પામેલા નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભવન (ન્યાય મંદિર સંકુલ)નું લોકાર્પણ આગામી તા. ૫ જૂન, શુક્રવારે યોજાશે. લોકાર્પણ બાદ હિંમતનગરની લગભગ તમામ અદાલતો નવા સંકુલમાંથી કાર્યરત થશે.
પ્રાપ્ત વિગતો મુજબ, નવનિર્મિત ન્યાય મંદિર સંકુલનું ઉદ્ઘાટન સવારે ૧૦ વાગ્યે હાઈકોર્ટના જસ્ટિસ અને સાબરકાંઠા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ હેમંત એમ. પ્રચ્છકના હસ્તે કરવામાં આવશે.
પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કે.આર. રબારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલી અધિસૂચના અનુસાર, જિલ્લા અને સેશન્સ કોર્ટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કોર્ટ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સહિતની તમામ તાબાની સિવિલ અને ફોજદારી અદાલતો તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીઓ ૫ જૂનથી નવા ભવનમાં પોતાની કામગીરી શરૂ કરશે.
માત્ર મજૂર અદાલત સિવાયની તમામ અદાલતો નવા ન્યાય મંદિર સંકુલમાં સ્થાનાંતરિત થનાર હોવાનું જણાવાયું છે. નવા કોર્ટ સંકુલના કાર્યરત થવાથી ન્યાયિક કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે તેમજ વકીલો, પક્ષકારો અને નાગરિકોને એક જ સ્થળે વિવિધ ન્યાયિક સેવાઓ ઉપલબ્ધ થશે.




