મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.0નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

શીતલ ઠાકર,ગાંધીનગર
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.0નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત તા. 23 ફેબ્રુઆરીથી 31 મે સુધી સમગ્ર રાજ્યમાં જળ સંચયનું મહાઅભિયાન યોજાશે.
આ અભિયાન હેઠળ તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરવામાં આવશે. જેના દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાનું અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હયાત તળાવો ઊંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, નહેરો તથા કાંસની મરામત, સફાઈ અને જાળવણી તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા વિવિધ કામો રાજ્ય સરકારના અંદાજે 6 વિભાગો દ્વારા લોકભાગીદારીથી હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષની સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.0ની શરૂઆત ગાંધીનગર જિલ્લાના ભાટ ગામના તળાવને ઊંડું કરવાની કામગીરીથી કરાવી હતી. આ તળાવ ઊંડું થતાં તેની કુલ જળ સંગ્રહ ક્ષમતા ભવિષ્યમાં 2.01 લાખ ઘન ફૂટ થશે.
ઉલ્લેખનીય છે કે સુજલામ સુફલામ જળ અભિયાનથી છેલ્લા આઠ વર્ષમાં 1 લાખ 22 હજારથી વધુ કામો કરવામાં આવ્યા છે, જેના પરિણામે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં 1 લાખ 39 હજાર લાખ ઘન ફૂટનો વધારો થયો છે. ઉપરાંત આ અભિયાન દ્વારા 210 લાખ માનવદિનની રોજગારી પણ ઊભી થઈ છે.




