૫૦૦ વર્ષ જૂની અનોખી પરંપરા યથાવત : પ્રાંતિજના મજરા ગામે સળગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલે ભક્તો

શીતલ ઠાકર ગાંધીનગર
પ્રાંતિજ તાલુકાના મજરા ગામે છેલ્લા ૫૦૦ વર્ષથી વધુ સમયથી ચાલતી અનોખી અને અડગ હોળીની પરંપરા આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યથાવત રીતે ઉજવાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલું આ ગામ હોળીના પર્વે વિશેષ ઓળખ ધરાવે છે.
પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં આવેલ ભૈરવનાથ મંદિરના ચોકમાં દર વર્ષે હોળીની રાત્રે અનોખી પરંપરા નિભવાય છે. અહીં બે અલગ-અલગ હોળી પ્રગટાવવામાં આવે છે — એક લાકડાંની અને બીજી છાણાંની. લાકડાંની હોળી સળગી અંગારાઓ બને ત્યારબાદ ગામના બાળકો થી લઈને યુવાનો અને વૃદ્ધો સુધીના ભક્તો ખુલ્લા પગે સળગતા અંગારાઓ પર ચાલે છે. વર્ષોથી ચાલતી આ પરંપરામાં હજુ સુધી દાઝ્યાનો એકપણ બનાવ બન્યો નથી. ગામજનો આ પરંપરાને દાદા ભૈરવનાથની કૃપા અને આશીર્વાદ તરીકે માને છે.
હોળી નિમિત્તે પ્રાંતિજ સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. ભક્તો દાદા ભૈરવનાથના દર્શન કરી પોતાની માનતા પૂર્ણ કરે છે અને હોળી દહનના દર્શન કરી ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી અને કેરી અર્પણ કરે છે.
હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર જન્મેલો હોય તો તેને પ્રથમ હોળીના દર્શન કરાવવાની પરંપરા છે. નવપરિણીત દંપતિઓ પણ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે. ખેડૂતોએ અગ્નિની જ્યોતમાંથી પૂળા પ્રગટાવી પોતાના ખેતર અથવા ઘરના પશુઓ માટે લઈ જવાની માન્યતા છે, જેને શુભ માનવામાં આવે છે.
આ અનોખી હોળીના દર્શન કરવા માટે વિવિધ વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં મજરા ગામે ઉમટી પડે છે. હોળી દહન દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળે છે. પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
૫૦૦ વર્ષથી વધુ જૂની આ પરંપરા આજે પણ ગામની આસ્થા, એકતા અને સંસ્કૃતિનો જીવંત વારસો બની રહી છે.





