ખેડબ્રહ્માના ગોતા કંપામાં ચૂંટણી બહિષ્કારનો એલાન, “ન્યાય નહીં તો વોટ નહીં” ના સૂત્રોથી ગૂંજ્યું ગામ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોતા કંપા ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં લાંબા સમયથી બાકી રહેલી સમસ્યાઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. “ન્યાય નહીં તો વોટ નહીં” ના સૂત્રો સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગ્રામજનોની મુખ્ય માંગોમાં ગામની નજીક ચાલતી વિસ્ફોટક પદાર્થ બનાવતી ફેક્ટરીને દૂર કરવાની માંગ છે. સાથે સાથે સિંચાઈ માટે પૂરતું પાણી, ખોદકામના કારણે થયેલા નુકસાનનું વળતર તેમજ યોગ્ય રસ્તાની સુવિધા જેવી મૂળભૂત જરૂરિયાતો પણ પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.આંદોલનમાં યુવાનો અને મહિલાઓ સહિત ગામના મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા અને ગામભરમાં સૂત્રોચાર કરીને તંત્ર સામે પોતાની માંગો જોરશોરથી રજૂ કરી હતી.
ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ આવનારી ચૂંટણીમાં મતદાન નહીં કરે.




