ખડગેના નિવેદન સામે હિંમતનગરમાં ભાજપ યુવા મોરચાનો જોરદાર વિરોધ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના ટાવર ચોક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના નિવેદન વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કેરળમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. ભાજપે આ નિવેદનને ગુજરાતની જનતાનું અપમાન ગણાવ્યું છે અને આડકતરી રીતે વડાપ્રધાન પર નિશાન સાધવાનો આક્ષેપ કર્યો છે.

આ મુદ્દે સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગરના ટાવર ચોક ખાતે યુવા મોરચાની આગેવાની હેઠળ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સુત્રોચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ પ્રદર્શનમાં સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. વિરોધ દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી અને મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદન બદલ જાહેરમાં માફી માંગે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.




