સોશિયલ મીડિયા લત: બાળકોના ભવિષ્ય પર ગંભીર સંકટ

શીતલ ઠાકર,ગાંધીનગર
ડિજિટલ યુગમાં બાળકોનું બાળપણ હવે સ્ક્રીન પાછળ કેદ થતું જઈ રહ્યું છે. સોશિયલ મીડિયા અને AI આધારિત એપ્લિકેશન્સના વધતા ઉપયોગે બાળકોમાં વ્યસન જેવી ગંભીર સ્થિતિ ઊભી કરી છે, જે સમાજ માટે ચેતવણીરૂપ બની છે.
અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સોશિયલ મીડિયા વ્યસનના કેસોમાં આશરે ૪૭૦ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧૬ કેસ હતા, જે વધીને ૨૦૨૪-૨૫માં ૬૬૧ સુધી પહોંચી ગયા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે સમસ્યા ઝડપથી વિકરાળ બની રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધુ સમય મોબાઈલમાં વિતાવવાથી બાળકોમાં ચીડિયાપણું, ગુસ્સો, એકલતા અને માનસિક તણાવ વધે છે. સૌથી ગંભીર અસર પરિવાર સાથેના સંવાદમાં ઘટાડો છે, જેના કારણે સંબંધોમાં અંતર અને ભાવનાત્મક ખાલીપો ઊભો થાય છે.
માતા-પિતાની બેદરકારી અને અનિયમિત સ્ક્રીન ટાઈમ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે. નિષ્ણાતો સૂચવે છે કે બાળકોના મોબાઈલ ઉપયોગ પર નિયંત્રણ, સમયમર્યાદા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ દોરી જવું હવે અત્યંત જરૂરી બની ગયું છે.
જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો આવનારી પેઢી માટે આ ડિજિટલ લત ગંભીર સામાજિક અને માનસિક સંકટ બની શકે છે.



