નગરપાલિકામાં કર્મચારીઓની કામગીરીમાં ફેરફાર, નવી જવાબદારીઓ સોંપાઈ

DocScanner 25-Jun-2026 7-32 pm (2)
હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભાના ઠરાવ નં. ૨૩ના અનુસંધાને કર્મચારીઓની કામગીરીમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. નવા વહીવટી આદેશ મુજબ વિવિધ વિભાગોની કામગીરીનું પુનર્વિતરણ કરીને સંબંધિત કર્મચારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ આદેશનો અમલ તા. ૨૫ જૂનથી તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે.
આદેશ મુજબ અરૂણાભાઈ પ્રજાપતિને સિટી બસ વિભાગના વડા તરીકે સ્વતંત્ર ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે હિતેષભાઈ રાવલને તેમની હાલની કામગીરી ઉપરાંત વ્યવસાયવેરા અને ગુમાસ્તાધારા વિભાગની વધારાની જવાબદારી આપવામાં આવી છે.
તે જ રીતે વસંતભાઈ પટેલને આંતરિક ઓડિટર તરીકે સ્વતંત્ર કામગીરી સોંપવામાં આવી છે. કરાર આધારિત સિવિલ એન્જિનિયર આકાશ બારોટને એસટીપી (સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) તથા પમ્પિંગ સ્ટેશનની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.
ભૂગર્ભ ગટર વિભાગની કામગીરી અશ્વિનભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે.
નગરપાલિકાના આ નવા આદેશ સાથે અગાઉના તમામ સંબંધિત વહીવટી આદેશો રદ કરવામાં આવ્યા છે. તમામ સંબંધિત કર્મચારીઓને તા. ૨૫ જૂનથી નવી કામગીરીનો ચાર્જ સંભાળી તેનો લેખિત અહેવાલ સક્ષમ અધિકારીને રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ વહીવટી ફેરફારોનો હેતુ વિવિધ વિભાગોની કામગીરીને વધુ સુવ્યવસ્થિત, જવાબદારીસભર અને કાર્યક્ષમ બનાવવાનો હોવાનું જાણવા મળ્યું છે.




