ઈડર ગઢ નજીક ડુંગર વિસ્તારમાં આગ, વન વિભાગની કામગીરી સામે સવાલ

ઈડરના ઐતિહાસિક ગઢ નજીક આવેલા ડુંગર વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. સુકા ઘાસ અને ઝાડીઓમાં લાગી આવેલી આગ થોડા જ સમયમાં ડુંગર વિસ્તારમાં પ્રસરી જતા ભારે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉઠતા જોવા મળ્યા હતા.

આગ લાગતાની સાથે સ્થાનિક લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યો હતો. પાણી અને ઉપલબ્ધ સાધનો દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ સ્થાનિક ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી જેથી આગ વધુ ફેલાય નહીં તે માટે કામગીરી હાથ ધરાઈ હતી.

પરંતુ આ સમગ્ર ઘટનામાં વન વિસ્તાર હોવા છતાં વન વિભાગની પૂર્વ તૈયારી અને દેખરેખ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. ઉનાળાના સમયમાં ડુંગર અને જંગલ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ, આગ નિયંત્રણ માટેના ઉપાયો અને તાત્કાલિક પ્રતિસાદની વ્યવસ્થા વન વિભાગ દ્વારા રાખવી જરૂરી હોય છે. છતાં આવી ઘટના બનતા વન વિભાગની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર દેખરેખ અને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હોત તો આગ આટલી ઝડપથી ફેલાઈ ન હોત. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં પણ ચિંતા અને ભયનો માહોલ સર્જાયો હતો.

હાલ આગને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વન વિભાગે જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી હોવાનું સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે.





