હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે બે દીકરીઓનો ભરતનાટ્યમ ‘આરંગેત્રમ’ મહોત્સવ સંપન્ન

ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં હિંમતનગરની બે પ્રતિભાશાળી કન્યાઓ, કાવ્યા પંડ્યા અને દર્શી પટેલે પોતાની પાંચ વર્ષની કઠિન સાધના પૂર્ણ કરી ગત રવિવાર, ૩ મે ૨૦૨૬ ના રોજ હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે ‘આરંગેત્રમ’ (દીક્ષાંત સમારોહ) દ્વારા મંચ પર ભવ્ય પદાર્પણ કર્યું હતું.
અમદાવાદની વિખ્યાત સંસ્થા ‘નૃત્ય ભારતી એકેડમી’ (પાલડી) ના ગુરુ શ્રીમતી ઈલાક્ષી ઠાકોર, શ્રી ચંદન ઠાકોર અને શ્રીમતી નિરાલી ઠાકોરના કુશળ માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ મેળવી આ બંને કલાકારોએ શાસ્ત્રીય નૃત્યની વિવિધ મુદ્રાઓ, ભાવ અને લયબદ્ધતાથી ઉપસ્થિત કલાપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ મંગલ પ્રસંગે રાયગઢ સ્થિત અગ્નિહોત્ર આશ્રમના ડૉ. યોગેન્દ્ર અગ્નિહોત્રીજી ખાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બંને કન્યાઓને આશીર્વાદ આપતા પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારતીય શાસ્ત્રીય કલા એ માત્ર અભિવ્યક્તિ નથી પરંતુ જીવનમાં શિસ્ત અને સંસ્કારનું સિંચન કરતી સાધના છે. તેમણે બંને દીકરીઓની આ સિદ્ધિને બિરદાવી તેમને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા.
પાંચ વર્ષના કપરા પ્રશિક્ષણ બાદ યોજાયેલા આ સફળ દીક્ષાંત સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાવ્યા તથા દર્શીની કલા સાધનાને વધાવી લીધી હતી.





