“દરરોજ વૃક્ષારોપણ કરી સમાજને પ્રેરણા આપનારને સન્માન”

દરેક સફળ કામગીરી પાછળ કોઈને કોઈ અજાણ્યો હીરો હોય છે, જે મોખરે નહીં હોવા છતાં મહત્વપૂર્ણ યોગદાન આપતો હોય છે — આ વાતને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ ફરી એકવાર સ્પષ્ટ કરી છે. ઋષિવનના મેનેજર રાધેશ્યામભાઈ ગુપ્તાની સતત અને નિષ્ઠાભરી કામગીરીને બિરદાવતા જીતુભાઈએ વૃક્ષારોપણ કરીને તેમનું સન્માન કર્યું હતું.
ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવા માટે કરવામાં આવતા પ્રયાસોમાં રાધેશ્યામભાઈ ગુપ્તા છેલ્લા ૪ વર્ષથી નિરંતર રીતે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી પર્યાવરણ અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓને તેઓ રોજિંદા સોસીયલ મીડિયા અને જાહેર પ્રચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડે છે.
ખાસ વાત એ છે કે રાધેશ્યામભાઈએ છેલ્લા ચાર વર્ષમાં એક પણ દિવસ ચૂક્યા વગર વૃક્ષારોપણના ફોટા અને પ્રેરણાદાયી સંદેશાઓ લોકો સુધી પહોંચાડ્યા છે, જેના કારણે અનેક નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થયા છે અને વૃક્ષારોપણ જેવા સકારાત્મક કાર્યોમાં જોડાયા છે.
તેમની આ નિષ્ઠા, સમર્પણ અને સમાજપ્રેરક સેવાને માન્યતા આપવા માટે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ ઋષિવન ખાતે તેમની સાથે વૃક્ષારોપણ કરી તેમને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે જીતુભાઈએ જણાવ્યું હતું કે, સમાજમાં આવા નિઃશબ્દ યોગદાન આપનારા લોકો જ સાચા પરિવર્તનના વાહક છે.





