રીપેરીંગના રૂપિયા લીધા છતાં કાર પરત ન આપતાં ગેરેજ સંચાલકો સામે ગુનો

હિંમતનગર શહેરના બાયપાસ રોડ પર આવેલ ગેરેજમાં રીપેરીંગ માટે મુકવામાં આવેલી કારનું કામ ન કરી વાહન પરત પણ નહીં આપતાં ગેરેજના બે સંચાલકો સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામના રહેવાસી શનાભાઈ અભેસિંહ ભાંભોરે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ, ગત તા.૧૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ પોતાની કાર નં. જીજે.૦૯બીએ.૮૮૪૩ને રીપેરીંગ માટે હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ એફ.કે.મોટર્સ ગેરેજમાં મુકવામાં આવી હતી. ગેરેજના સંચાલકો સીરાઝદ્દીન ફયાઝુદીન શેખ અને નદીમુદ્દીન ફયાઝુદીન શેખને વાહન રીપેરીંગ ખર્ચ પેટે રૂ.૮ હજાર પણ ચૂકવવામાં આવ્યા હતા.
ફરીયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રૂપિયા મેળવ્યા બાદ પણ ગેરેજ સંચાલકો દ્વારા વારંવાર ખોટા વાયદા કરવામાં આવ્યા હતા અને લાંબા સમય સુધી વાહનનું રીપેરીંગ કરવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, રીપેરીંગ માટે મુકવામાં આવેલી કાર પરત પણ આપવામાં આવી નહોતી.
આ મામલે પોતાને વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ભોગ બન્યાનો આક્ષેપ કરી શનાભાઈ ભાંભોરે બંને સંચાલકો વિરૂદ્ધ શુક્રવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




