તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકાની ત્વરિત કામગીરીથી ગટર સમસ્યાનો ઉકેલ, નગરજનોમાં પ્રસન્નતા

તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં નગરજનોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે સોનગઢ નગરપાલિકા તથા નગરસેવકો સતત સક્રિય રીતે કામગીરી કરી રહ્યા હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સોનગઢ શહેરના એકતા નગર વિસ્તારમાં આવેલ માનવતા જાગૃત ટ્રસ્ટની ઓફિસ તેમજ સંસ્થા દ્વારા સંચાલિત અનાથ આશ્રમ “પિતાશ્રીનું ઘર” ખાતે ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. આ અંગે સ્થાનિક નગરસેવક શ્રી કિશોરભાઈ ચૌધરીને જાણ કરવામાં આવતા તેમણે તાત્કાલિક પ્રતિસાદ આપી સોનગઢ નગરપાલિકાના આરોગ્ય શાખાના પ્રમુખ શ્રી ભીમરાવભાઈને માહિતી પહોંચાડી હતી.
માહિતી મળતાં જ શ્રી ભીમરાવભાઈ પોતાની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને ગણતરીના સમયમાં જ ગટરની સફાઈ સહિતની જરૂરી કામગીરી પૂર્ણ કરી સમસ્યાનું નિરાકરણ લાવ્યું હતું. કામગીરી દરમિયાન આસપાસના રહેવાસીઓને વધુ મુશ્કેલી ન પડે તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન સોનગઢ નગરપાલિકાના દંડક શ્રી વિજયભાઈ પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી.
સોનગઢ શહેરના નગરજનો દ્વારા વિશ્વાસપૂર્વક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાના અધિકારીઓ નાગરિકોની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામગીરી કરી રહ્યા હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થયું છે. નાગરિક હિતમાં કરવામાં આવતી આવી ત્વરિત અને જવાબદાર કામગીરીને સ્થાનિકોમાંથી પ્રશંસા મળી રહી છે.




