ગાંઠીયોલના તળાવ અને ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ, ગ્રામજનોએ કાર્યવાહી માંગ કરી

ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામમાં આવેલા તળાવ અને ગૌચર જમીન પર કથિત ગેરકાયદે દબાણ કરાયાની ફરિયાદ સામે આવી છે. ગામના એક રહીશે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને સ્થળ તપાસ કરી દબાણો દૂર કરવાની માંગ કરી છે.
ગાંઠીયોલ ગામના કુણાલસિંહ જેતાવતે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ગામમાં આવેલ શામળા તળાવ, જેને સ્થાનિક લોકો “સોમા તળાવ” તરીકે ઓળખે છે, તેના સર્વે નં. 450 તેમજ પંચાયત હસ્તકની ગૌચર જમીનના સર્વે નં. 433 પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
રજુઆત અનુસાર દબાણકર્તાઓએ તળાવના વિસ્તારમાં માટી પૂરાણ પણ કર્યું હોવાનું જણાવાયું છે. જેના કારણે ચોમાસા દરમિયાન તળાવની પાણી સંગ્રહ ક્ષમતા ઘટી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે ભવિષ્યમાં ગામના પશુપાલકો, ખેડૂતો તેમજ ગ્રામજનોને પાણી અને ચરિયાણ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક સ્થળ તપાસ કરીને તળાવ અને ગૌચર જમીન પર થયેલા કથિત દબાણો દૂર કરવા તેમજ સરકારી જમીનને મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.




