પોલિયોમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા સાબરકાંઠામાં ત્રણ દિવસીય પોલિયો અભિયાનનો પ્રારંભ

દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત રવિવારથી સાબરકાંઠા જિલ્લામાં ત્રણ દિવસીય પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અભિયાન દરમિયાન જિલ્લામાં અંદાજે 1.70 લાખ જેટલા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
અભિયાનના પ્રથમ દિવસે જિલ્લાના વિવિધ પોલિયો બૂથ પર બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. જ્યારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈ બાળકો સુધી પહોંચી તેમને પોલિયોની રસી પીવડાવશે.
આ કામગીરી માટે જિલ્લાના તમામ આરોગ્ય સંસ્થાઓ તેમજ 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો તૈનાત કરવામાં આવી છે. કોઈપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલિયોની રસી અવશ્ય પીવડાવે અને પોલિયોમુક્ત ભારતના સંકલ્પને સફળ બનાવવામાં સહભાગી બને.




