હિમતનગર
લાલપુર ગામમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, ગ્રામજનોમાં ભય.

સંજય ગાંધી,હિમતનગર
હિંમતનગર તાલુકાના લાલપુર ગામમાં આવેલી પાણીની ટાંકી હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. વર્ષો જૂની આ પાણીની ટાંકીના માળખામાં તિરાડો પડેલી છે અને કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ ગ્રામજનોમાં ફેલાઈ છે.
ગ્રામજનો જણાવે છે કે આ ટાંકીની હાલત અત્યંત જોખમી બની ગઈ છે અને આસપાસ વસતા લોકો માટે સતત ભયજનક સ્થિતિ ઊભી કરે છે. ખાસ કરીને બાળકો અને રાહદારીઓ માટે આ ટાંકી જોખમરૂપ સાબિત થઈ શકે છે.
આ બાબતે ગ્રામજનો દ્વારા સંબંધિત સત્તાધીશો અને ગ્રામ પંચાયત સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે કે જર્જરિત હાલતમાં આવેલી જૂની પાણીની ટાંકી તોડી કાઢવામાં આવે અને નવી, સુરક્ષિત જગ્યાએ આધુનિક પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.





