હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી મોંઘવારી અને NEET મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને NEET મુદ્દે જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વધતી મોંઘવારી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી નીકળી જૂના બજાર, જિલ્લા પોલીસ કચેરી માર્ગે પસાર થઈ ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી.


રેલી દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે ડીઝલ, પેટ્રોલ, ખાતર સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ NEET પરીક્ષા સંબંધિત મુદ્દે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે સામાન્ય જનતા મોંઘવારીના ભાર હેઠળ પીસાઈ રહી છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે સરકારનું વલણ નિરાશાજનક છે. આ મુદ્દાઓને લઈને આગામી સમયમાં પણ લોકશાહી માધ્યમથી લડત ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.




