નૂરાની મસ્જિદ વકફ, સવગઢમાં નવા કારોબારી સભ્યોની નિમણૂક, વિદાય લેતા સભ્યોનું સન્માન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરને અડીને આવેલા સવગઢ ગામના મહેબૂબ પાર્ક સોસાયટી વિસ્તારમાં આવેલી નૂરાની મસ્જિદ વકફ (રજી.નં. 053/સાબરકાંઠા)ના કારોબારી સભ્યોની મુદત પૂર્ણ થતાં નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
તારીખ 09 ઓગસ્ટ, 2026ને રવિવારે રાત્રે ઈશાની નમાઝ બાદ નૂરાની મસ્જિદ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના બંધારણના મુદ્દા નંબર-5 મુજબ, અગાઉની સામાન્ય સભામાં પસાર થયેલા ઠરાવ અન્વયે નવ કારોબારી સભ્યોની પસંદગી કરવામાં આવી હતી, જેને મંજૂરી અર્થે ગુજરાત વકફ બોર્ડ, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે.
આ પ્રસંગે નૂરાની મસ્જિદ, સવગઢના પેશ ઈમામ મૌલાના હઝરત સુફિયાન કાદરી સાહેબની ઉપસ્થિતિમાં વિદાય લેતા સભ્યોને નવા પસંદ થયેલા સભ્યો દ્વારા ગુલપોષી અને પ્રતિક ભેટ અર્પણ કરી માનભેર વિદાય આપવામાં આવી હતી. નવા સભ્યોએ પણ પોતાની જવાબદારી હર્ષભેર સ્વીકારી હતી.
વિદાય લેતા પ્રમુખ આરીફભાઈ શેખ તથા નવા સભ્ય ફિરોજખાન મકરાણી દ્વારા મૌલાના સુફિયાન કાદરી સાહેબનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઇમામ અહેમદ રઝા બરેલી (ર.અ.)ના ઉર્ષની ઉજવણી નિમિત્તે ન્આત શરીફ અને તકરીરનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. વિસ્તારના રહીશો, નમાઝીઓ, યુવકો, નવજવાનો તેમજ બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી નવીન સભ્યોને અભિનંદન પાઠવી કાર્યક્રમને વધામણી બક્ષી હતી.




