સાબરકાંઠાના નવલપુરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસકાર્યોને આપી ગતિ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં વિકાસના કામોને વધુ ગતિ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવલપુર ગામે પહોંચ્યા હતા. નવલપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન નવલપુર ગામે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને લોકભાગીદારીથી કરવામાં આવેલા તળાવના બ્યુટીફિકેશન, સ્ટોર્મ વોટર લાઇન તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત તલોદ અને પ્રાંતિજ તાલુકાના બસ ડેપોને આધુનિક બનાવવાના કામોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે નવી GIDC સ્થાપવા માટે ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

નવલપુર ગામ સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખાય છે અને અહીં સરપંચથી લઈને પંચાયતના સભ્યો સુધી તમામ જગ્યાએ મહિલાઓનું નેતૃત્વ જોવા મળે છે.

ખાસ વાત એ છે કે સાબરકાંઠા જિલ્લા પંચાયતનું નેતૃત્વ પણ આ જ ગામની ભારતીબેન પટેલ સંભાળી રહ્યા છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવલપુર ગામમાં થયેલા વિકાસકાર્યો અને મહિલાઓના સશક્ત નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સાબરકાંઠાના પ્રભારી મંત્રી પ્રધુમન વાઝાએ પણ વિકાસના વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપી હતી.




