તસ્કરોની મધરાતી ચડાઈ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર શહેર નજીક ખેડ તસીયા રોડ વિસ્તારમાં મધરાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકતાં ચાર દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે. આ બનાવથી વિસ્તારમાં વેપારીઓમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ સુંદરગઢ નજીક ગાયત્રી આશ્રમ પાસે આવેલી પાન મસાલાની દુકાનનો ગલ્લો તોડી તસ્કરોએ પાન મસાલાનો સામાન તેમજ રોકડ રકમની ચોરી કરી હતી.આ ઉપરાંત નવા ગામ નજીક આવેલી દુકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં લક્ષ્મી પાન પાર્લર, જયદેવ કિરાણા સ્ટોર્સ અને બીલેશ્વરી એગ્રો દુકાનમાંથી પાન મસાલાનો સામાન, કરીયાણાનો જથ્થો તેમજ રોકડ રકમની ચોરી થયાની માહિતી સામે આવી છે.

એક જ વિસ્તારમાં એક સાથે ચાર દુકાનોના તાળા તૂટવાની ઘટનાને પગલે વેપારીઓમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે.સમગ્ર બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટના અંગે નોંધ લઈ તસ્કરો સુધી પહોંચવા માટે આગળની તપાસ હાથ ધરી છે.




