ઈડરના બરવાવ ગામમાં રખડતા શ્વાનોનો આતંક, ચાર વર્ષના બાળક પર હુમલો – ગંભીર રીતે ઘાયલ

શીતલ ઠાકર,ગાંધીનગર
ઈડર તાલુકાના બરવાવ ગામમાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે, જ્યાં ત્રણ રખડતા શ્વાનોએ ઘરની બહાર રમી રહેલા ચાર વર્ષના બાળક પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, બાળક ઘરની બહાર રમતો હતો ત્યારે અચાનક ત્રણ શ્વાનોએ તેની પર હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકના માથા, પગ અને શરીરના વિવિધ ભાગોમાં બચકા ભરતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાને પગલે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને બાળકને શ્વાનોથી છોડાવી તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

આ ઘટનાએ ગામમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. વારંવાર રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓ સામે આવતી હોવા છતાં પંચાયત અને તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી તેવો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોએ માંગ કરી છે કે રખડતા શ્વાનો સામે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે જેથી આવી ગંભીર ઘટનાઓ ફરી ન બને





