કુહાડીના ઘા સાથે કુટુંબનો કરુણ અંત! ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં પરિવારનો મોભી બન્યો હત્યારો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે શનિવારે મોડી રાત્રે માનવતાને હચમચાવી નાખે તેવી ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. પરિવારના મોભી શ્રવણ ચુનાભાઈ ગમારે અગમ્ય કારણોસર પોતાની પત્ની, માતા અને બે વર્ષના માસૂમ પુત્ર પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો.હુમલામાં બે વર્ષના પુત્ર કમલેશનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી માતા જમનાબેનને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેમનું મોત થયું હતું. પત્ની કાંતાબેનની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ હુમલો કરનાર શ્રવણ ગમારનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. જોકે તેનું મોત કેવી રીતે થયું તે હજી રહસ્ય બન્યું છે.ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ, ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સંગ્રામપુરા ગામે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે તેમજ હત્યાકાંડ પાછળનું સાચું કારણ જાણવા તપાસ તેજ બનાવાઈ છે.આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને ચકચાર ફેલાવી દીધી છે.




