અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત, 7 મુસાફરોને સામાન્ય ઇજાઓ

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે ખાનગી બસ અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં બસના ચાલક સહિત કુલ સાત મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે પસાર થઈ રહેલી ખાનગી બસ અજાણ્યા વાહન સાથે અથડાતા બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ, 108 એમ્બ્યુલન્સ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

અકસ્માતમાં બસનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ગેસ કટરની મદદથી બસના પતરા કાપીને ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત તમામ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.



