અષાઢી બીજની રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ: ઈડરના મોટા રામદ્વારામાં રથની સાફ-સફાઈ અને શણગાર શરૂ

અષાઢી બીજના પાવન અવસર અને આગામી રથયાત્રાને અનુલક્ષીને ઈડર શહેરના મોટા રામદ્વારા ખાતે રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તૈયારીઓના ભાગરૂપે ભગવાનના રથની સાફ-સફાઈ, શણગાર તેમજ જરૂરી જાળવણીની કામગીરી ઉત્સાહભેર હાથ ધરવામાં આવી રહી છે.
મંદિરના સેવકો, ટ્રસ્ટીઓ અને ભાવિકો સેવાભાવ સાથે આ કામગીરીમાં જોડાયા હતા. રથયાત્રા દરમિયાન ભગવાનના રથને ભવ્ય અને આકર્ષક સ્વરૂપે ભાવિકોના દર્શનાર્થે રજૂ કરી શકાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે અષાઢી બીજની રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. આ વર્ષે પણ ભક્તિમય માહોલ, સુવ્યવસ્થિત આયોજન અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે રથયાત્રા યોજાય તે માટે આયોજકો દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
રથયાત્રાને લઈને સમગ્ર ઈડર શહેરમાં ધાર્મિક ઉત્સાહ, ભક્તિભાવ અને આનંદનો માહોલ છવાયો છે. ભાવિકોમાં પણ રથયાત્રાને લઈને ભારે આતુરતા જોવા મળી રહી છે.




