ચાર વર્ષથી NDPS કેસમાં ફરાર આરોપી એસઓજીના હાથે ઝડપાયો

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ તા. 14 જુલાઈ, 2026ના રોજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીના માર્ગદર્શન અને પોલીસ અધીક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના સૂચનાનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એસઓજીની ટીમ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
બાતમીના આધારે પોશીના પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી મહેન્દ્રકુમાર શંકરલાલ લૌર (ઉં. 26), રહે. ટીલરવા (સોમાલી), તા. કોટડા, જી. ઉદયપુર, રાજસ્થાનને ખેરોજ બજાર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની જોગવાઈ મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી પો.સ.ઇ. પી. એમ. ઝાલા, એએસઆઈ જયદીપકુમાર, હેડ કોન્સ્ટેબલ ભાવિનકુમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ સુશીલકુમાર અને પંકજકુમારની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. એસઓજીની આ કામગીરીને કારણે છેલ્લા ચાર વર્ષથી ફરાર રહેલા એનડીપીએસ કેસના આરોપીને કાયદાના હવાલે કરવામાં આવ્યો છે.




