ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગાયત્રી અનુષ્ઠાન અને યજ્ઞથી 39 વર્ષની પરંપરા પૂર્ણ, 40મા વર્ષમાં પ્રવેશ

શીતલ ઠાકર,ગાંધીનગર
સનાતન ધર્મની સંસ્કૃતિને જાગૃત રાખવાના પવિત્ર ઉદ્દેશ સાથે શ્રી ગાયત્રી પરિવાર, શારદાકુંજ શાખા, મોતીપુરા (હિંમતનગર) દ્વારા હિંદુ વર્ષ દરમ્યાન ચૈત્રી તથા આસો નવરાત્રી નિમિત્તે ગાયત્રી અનુષ્ઠાન અને યજ્ઞનું નિયમિત આયોજન કરવામાં આવે છે. આ પાવન પરંપરાને આ વર્ષે 39 વર્ષ પૂર્ણ થતાં હવે 40મા વર્ષમાં પ્રવેશ કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં બહેનો દ્વારા નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગાયત્રી મંત્રનું સામૂહિક અનુષ્ઠાન કરવામાં આવે છે અને નવમા દિવસે યજ્ઞમાં સામૂહિક આહુતિ આપી પૂર્ણાહુતિ કરવામાં આવે છે.

વર્તમાન વર્ષની ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનમાં યજમાન તરીકે શ્રીમતી સુધાબેન જસવંતલાલ જોશી (હિંગવાલા) રહ્યા હતા. પંચકુંડી ગાયત્રી યજ્ઞ અંતર્ગત યજમાનશ્રી સુધાબેન જસવંતલાલ જોશી દ્વારા ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ સનાતન ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને સમર્પિત કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોની અનેક ધર્મપ્રિય બહેનો તથા રહિશો જોડાયા હતા. નવરાત્રીના નવમા નોરતે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો.




